હૈદ્રાબાદમાં આતંકી ધડાકાએ ..મનને ઉદ્વેગે ભરી દીધું. કેટલાય હસતા રમતા પરિવારોનું હાસ્ય વિલાઈ ગયું.
આને બહાદુરી ગણતા , અવળે માર્ગૅ વરેલા લોકો , આજે વિશ્વને હીંસાથી અભડાવી રહ્યા છે. સાચો ધર્મ , એકબીજાનું
ભલું જ ઈચ્છે, આ હીંસક મનની વ્યાધી, ઉપાધીઓ જ નોંતરશે અને તેના પ્રત્યાઘાતો જ્વાળાઓ બની, વેરનું વાવેતર કરશે.
આવા તત્ત્વોને જે પ્રજા જાકારો દેશે તેને જ શાન્તિની પ્રસાદી ભાગ્યમાં મળશે…એક ગઝલ ફરીથી યાદ આવી..
રમેશ પટેલ(આકાશદીપ)
છે કિનારા બે જુદા….રમેશ પટેલ(આકાશદીપ)
ગઝલ છંદ વિધાન–
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ધર્મ મારો ,ધર્મ તારો , છે કિનારા બે જુદા
જલ વહાવે એક બંને , સત્ય એ સાચું બધે
વાત મારી વાત તારી, રોજ હું રટતો રહું
જો અમારી વાતથી ડગ, જગ રમે ન્યારું બધે
રંગ ખીલી સાંજ વ્યોમે , આવકારે રાતને
જાણતી એ , ભોર થાયે મંગલા પ્યારું બધે
દૂર વ્યોમે સૂર્ય જલતો, તપત સાગર આ ધરા
મેઘ જ્યારે નાચશે , લીલી ધરા ચારું બધે
સાત સાગર , સાત ખંડો, રોજ નોંખા પાડતો
જો વિચરું વ્યોમે હું, છે મારી ધરા ચીતરું બધે
ગોખમાં ‘દીપ’ જલતો ને અશ્રુ પશ્ચાતાપના
તેજમાં શ્રધ્ધા ભળે તો સંગ તવ ભાળું બધે