કેપ્ટન શ્રી નરેન્દ્રભાઈ….લશ્કરમાં સેવા એટલે મીલેટરી છાપ વ્યક્તિત્ત્વ એ આપણી ધારણા, પણ તેમના સાહિત્યની સરવાણીમાં વહેતા થઈએ, એટલે તેમની સાહિત્ય સૂઝ સાથેના સંવેદનાશીલ ઉરની પહેચાન અનુભવાય. સૈનિક જીવનની સત્ય કંડિકાઓ, તે પાસાને જોવા જાણવાનું મળ્યું, એ માટે સાહિત્ય જગત ગર્વ સાથે તેમનું ઋણ અનુભવશે.તેમના ક્ષેત્રમાંથી આવી ધારદાર કલમો બહુ જ ઓછી માણવા મળે. મિત્રતા, સૌજન્ય ને એક અફસરને છાજે ,એવા સર્વગુણોની ઝલક, તેમની સાથેના વ્યવહારે, સૌ મિત્રોએ નિહાળી છે.શ્રીપી.કે.દાવડા સાહેબના આ લેખ થકી, તેમની વધુ નિકટ જવાનું સૌ કોઈ ને મળશે…તેમના વિશેષ આભાર સાથે….
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
મળવા જેવા માણસ-૩૭ (કેપ્ટન નરેન્દ્ર ફણસે)
નરેન્દ્રભાઈનો જન્મ ૧૯૩૪ માં વડોદરામાં એક સમ્પન્ન પરિવારમાં થયો હતો. પિતાએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. માતાનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તે સમયે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા દર્શાવવામાં આવતી હોવાથી માતાનું શિક્ષણ કેવળ ચોથા ધોરણ સુધી જ થયો. નરેન્દ્રભાઈની ઉમ્મર માત્ર નવ વર્ષની હતી ત્યારે એમના પિતાનું અવસાન થયું. પરિસ્થિતિમાં એવો બદલાવ આવ્યો, રહેવા માટે ફક્ત શહેરમાં એક ઘર રહી ગયું. આજીવીકાનું અન્ય કોઈ સાધન ન હોવાથી માતા શહેરનું ઘર ભાડે આપી ગામમાં રહેવા ગયા. ભાડાની અલ્પ આવકમાં પણ માતાએ આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ રીતે ચાર સંતાનોને ઉછેર્યા. નરેન્દ્ર તેમાં સૌથી મોટો. માત્ર ૫૫ વર્ષની ઉમ્મરે માતાનું પણ અવસાન થયું. નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્રના અને બનાસકાંઠાના અલગ અલગ શહેરોમાંથયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે એમના અપહરણનો એક નિષ્ફળ પ્રયત્ન થયો હતો. એમના જ નોકરે એમને રાજકોટથી મુંબઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પિતાના એક મિત્ર પોલીસ અમલદાર હોવાથી, તાત્કાલીક કારવાઈ કરી નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગરથી બચાવી લેવામાંઆવ્યા. માધ્યમિક શાળાનો અભ્યાસ એક વર્ષ ભાવનગર અને છ વર્ષ અમદાવાદમાં થયો. ૧૯૫૧માં ૧૬ વર્ષની વયે એમણે SSC ની પરિક્ષા પસાર કરી. માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન એમને તેમના એક શિક્ષકે વર્ગમાં લપડાક મારી હતી. આ અપમાન સહન ન થતાં એમણે એજ્યુકેશન ઈન્સપેકટર પાસે ફરિયાદ કરી અને ન્યાય મેળવ્યો હતો. આમ અન્યાય સામે લડી લેવાની વૃતિ એમણે નાનપણથી જ કેળવેલી. આ સમયગાળામાં એમણે શ્રી અરૂણકાન્ત દિવેટિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યમાં રસ કેળવ્યો. SSC બાદ એમણે ભાવનગરની મંગળદાસ જેશીંગભાઈ કોલેજ ઓફ કોમર્સમાંથી ૧૯૫૮ માં B.Com. ની ડીગ્રી મેળવી. આ અભ્યાસક્રમ દરમ્યાન સંજોગોવશાત ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી અભ્યાસમાં રૂકાવટ પેદા થયેલી. કોલેજના અભ્યાસ દરમ્યાન એમને શ્રી વિજયરાય ક. વૈદ્ય પાસેથી ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો હતો. B.Com. ની ડિગ્રી મેળવ્યા પછી, ૧૯૬૩ સુધી નરેન્દ્રભાઈએ L.I.C. ના એકાઉન્ટસ અને ક્લેઈમ્સ વિભાગમાં નોકરી કરી.
૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાઇ દુશ્મન સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે આ ગાળા દરમ્યાન ઈમરજ્ન્સી કમીશન્ડ ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ. છ મહિના પૂનામાં જેન્ટલમન કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે રેગ્યુલર આર્મીમાં જોડાઈ ગયા. આર્મીમાં જોડાવા માટેની પ્રેરણા એમને એમની માતાએ આપેલી. ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં એમને મોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટ સુધી લડવાનો મોકો મળ્યો. ભારતે આ યુધ્ધમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટન તરીકે થઈ. ૧૯૬૮ માં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં કેપ્ટનના સમકક્ષ હોદ્દા સાથે જોડાયા. અહી પણ એમને ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પંજાબમાં મોખરાના મોરચે લડવાનો મોકો મળેલો, અને એમણે દાખવેલા શૌર્ય બદલ એમને રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. એમણે એમના આ બન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તક “જિપ્સીની ડાયરી” માં લખ્યા છે. અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે. નરેન્દ્રભાઈના લગ્ન ૧૯૬૫ માં ટાન્ઝાનિયાના અનુરાધાબહેન સાથે થયા હતા. આ એક arranged marriage હતા. ૧૯૬૫ માં એમની દિકરી કાશ્મીરાનો જન્મ થયો અને ૧૯૭૦ માં એમના દિકરા રાજેન્દ્રનો જન્મ થયો હતો. ૧૯૭૬ માં કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાંથી રાજીનામું આપી, એમના કુટુંબને લઈને કાયમી વસવાટ માટે લંડન ગયા. રાજીનામું નામંજૂર થવાથી કેપ્ટન નરેન્દ્રને ત્રણ મહિનામાંજ ભારત પાછા ફરવું પડ્યું. એમનું કુ ટુંબ લંડનમાંજ રોકાયું. પાંચ વર્ષ સુધી અનુરાધા બહેને લંડનમાં નોકરી કરી અને બે બાળકોને ઉછેર્યા. ૧૯૮૧ માં કેપ્ટન નરેન્દ્ર સેનામાંથી નિવૃતિ લઈ લંડન આવ્યા. લંડનમાં નોકરી દરમ્યાન, ૧૯૮૭માં લંડનની એક બરો કાઉન્સીલના સમાજ સેવા વિભાગે ચાલુ પગારે બે વર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ કરવા મોકલ્યા. લંડનની સાઉથ બેંક યુનિવર્સિટીમાંથી તેમણે સોશ્યલ સાયન્સીઝમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃતિ ફરી શરૂ કરી અને એમના લખાણ અખંડ આનંદમાં ’કૅપ્ટન નરેન્દ્ર’ના તખલ્લુસથી પ્રગટ થવા માંડ્યા. આમ તો એમનો સૌથી પહેલો લેખ ૧૯૫૭માં સ્વ. ચાંપશીભાઈ ઉદેશીના ‘નવચેતન’માં છપાયો હતો અને ત્યાર પછી ૧૯૭૯માં જનસત્તાની રવિવારની આવૃત્તિમાં ‘નરેન્દ્ર’ના તખલ્લુસથી અવાર નવાર લેખ છપાતા. જો કે લેખનની ખરી કસોટી સ્વ. આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાની રાહબરી નીચે નીકળતા ‘અખંડ આનંદ’માં થઈ. તેમાં લગભગ દસેક જેટલા લેખ અને એક એકાંકિ નાટક પ્રસિદ્ધ થયાં, જેમને ઘણો સારો આવકાર મળ્યો હતો. લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દર અઠવાડિયે મોકલવામાં આવે છે. નરેન્દ્ર્ભાઈના બન્નેબાળકો બ્રિટનમાંઅભ્યાસ પુરો કરી, આગળની કારકીર્દી માટે અમેરિકા ગયા. ૨૦૦૦ માં નરેન્દ્રભાઈ અને એમના પત્ની પણ કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. અમેરિકામાં એમની સાહિત્ય પ્રવૃતિ ચાલુ રહી. ૨૦૦૮ માં એમણે જિપ્સીની ડાયરી નામે બ્લોગ શરૂ કર્યો. તમે www.captnarendra.blogspot.com લીંક વાપરી આ બ્લોગની મુલાકાત લઈ શકો છો. નરેન્દ્રભાઈના ઘડતરમાંએમની માતાનું યોગદાન અતિશય મહત્વનું છે. આ લખતી વખતે, શિવાજી મહારાજનું વીરમાતા જીજાબાઈએ કરેલું ઘડતર યાદ આવી જાય છે. આ માતૃૠણ ચૂકવવા નરેન્દ્રભાઈએ “બાઈ” (મા) નામે એક પુસ્તક લખ્યું છે, જે મૂળ એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો અનુવાદ છે. નરેન્દ્રભાઇ કહે છે, “મહાભારતમાં કર્ણનું વાક્ય: दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरूषम्- ‘કયા કુળમાં જન્મ આપવો તે દૈવનેઆધિન છે; પરંતુ પુરુષાર્થ તો મારે આધિન છે , તે મને બહુ ગમે છે.” આ ઉપરાંત ભાવનગર રાજ્યનો motto – ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ આ કથન પણ એમને ખૂબ પ્રિય છે. આમ તો આ જીપ્સીનો પ્રવાસ હજી ચાલુ જ છે. અંતમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેને એક મિલીટરી ઢબની સલામ કરી આ લેખ પૂરો કરૂં છું. -પી. કે. દાવડા