મારી પ્રથમ ઈ બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ ને , સાહિત્ય ઉપવનમાં સૌ પ્રથમ ખીલવાનું સૌભાગ્ય,
‘સબરસ ‘ બ્લોગના સાહિત્યપ્રેમી પરિવાર દ્વારા સાંપડ્યું છે. શ્રી અશોકભાઈ કૈલા ને સુશ્રી કલ્યાણીબેન તથા
તેમના સદસ્યોની શુભેચ્છાઓનું, હું ઋણ સાથે સ્વિકાર કરતાં આનંદ અનુભવું છું. આપ સર્વેના સ્વાગતની
અપેક્ષાએ, સુખદ સંભારણાં અને સાહિત્યવિદ્ય આદરણિય શ્રી વલીભાઈની , આ પુસ્તકની પ્રસ્તાવના આપની વધામણી માટે,સાદર
અત્રે રજૂ કરતાં હર્ષ અનુભવું છું.
રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………………………………
કલ્યાણી વ્યાસ સબરસગુજરાતી વતી
સુખદ સંભારણાં….
Harnish Jani
વદે બુધ્ધ આત્માના અજવાળે રે વિહરજો
જ્ઞાન અજવાળે જ ચિંતવી આયખું ઉજાળજો
સાલમુબારક– તમને ગુજરાત ટાઇમ્સમાં વાંચું છું–તમારા કાવ્યો ટાઈમ્સનું અંગ બની ગયું છે–
………………………………….
ડૉ શ્રીચંદ્રવદનભાઈ મિસ્ત્રી….
એક સ્વરચનાથી કવિશ્રીને નવાજ્યા.
આકાશે દીપ પ્રગટાવતા,
એક ‘આકાશદીપ’ બને
બની ‘આકાશદીપ’
રમેશ વિચારે હૈયાથી
ઝરી શબ્દો બને ‘ત્રિપથગા’
જોઈ સૌનાં હૈયાં આનંદિત બને.
……………………………………
મુરબ્બી શ્રીરમેશભાઈ,
ધીરજધરીને ભિન્નભિન્ન બ્લોગમાં, ખાસ કરીને કવિલોકમાં, આપનો દીપ પ્રકાશ પાથર્યા બાદ આ બ્લોગ શરૂકરીને આપે આપના ઈજનેર વત્તા કવિદિલના અનુભવ વત્તા કલ્પનનું જનરેટર અહીં સાચ્ચે જ ઝગમગાવી દીધું છે. આજે એનો અતિ આનંદ અનુભવાય છે.
દિલીપ ર. પટેલ/ જયેશ ર. પટેલ
………………………………..
P. K. Davda
રમેશભાઈ, ઘણા બધા બ્લોગ્સ પર તમારી ઘણી બધી કવિતાઓ વાંચી છે. તમારી કવિતાઓમા તાઝગી અને નવિનતા છે. વિષય વિવિધતા છે.
તમારો કવિતા લખવાનો આ પ્રેમ ચાલુ રાખીને વરસો સુધી ગુજરાતી પ્રજાને આનંદ આપતા રહેશો એવી આશા સાથે,
પી. કે. દાવડા
……………………………………..
……………………………………..
અશોકકુમાર દેશાઈ – ‘દાદીમા ની પોટલી’
આદરણીય શ્રીરમેશભાઈ,
પ્રેમ અહિંસા બંધન,
ભારત ભાલે ચંદન,
ગાંધી વલ્લભને વંદી,
અર્પે આઝાદીના અમી….ધન્યતું ! ગુર્જરી ભૂમિ ..
ગુજરાતના ૫૨મા જન્મદિનની શુભેચ્છાઓ સાથે આપને
પણ ખૂબખૂબ અભિનંદન, ગુજારાત અને ગુજારાતીને
છાજે તેવી સુંદર રચના આપે આપી ….
જયજય ગરવી ગુજારાત !
……………………………………….
શ્રીમાન. રમેશભાઈ ( આકાશદીપ )
ખુબ જ સરસ રચના, ભાવસભર
વળી સુંદર પંક્તિઓ
આવી ભેરૂઓની ટોળી
રંગાઉં આજ થઈ ભોળી
લાવો ગુલાલ આવી હોળી.”
એક અલગ જ પ્રકારની રચના આપના
કર કલમે રચાય , મજા પડી ગઈ સાહેબ
” હોળીમુબારક હો “
……………………………………….
આદરણીય શ્રીરમેશભાઈ,
છાયા કેસૂડાના કામણ
ભાળ્યા ટહુકતા બાલમ
ઘૂમે વસંત પહેરી દામન
વગાડો ઢોલ મારા વાલમ
પ્રકૃતિના દામનમાં જેટલા રંગછે એ તમામને આપે સુંદર ગુંથી
હોળીના રંગપર્વને સુંદર સજાવ્યું છે.
રંગોત્સવ પર્વની આપને ખુબ જ શુભકામના.
……….
આદરણીય શ્રીરમેશભાઈ , (આકાશદીપ )
એક ધરતીપુત્રની કલમે આલેખાયેલ અને ધરતી સાથે જોડાયેલ કવિની કલમનો
કસબ ખુબ મહેક્યો છે.
………………………………………………..
રમેશભાઈ બહુજ સરસ લાગણીઓનું ઉપવન સજાવી દીધું.
તમારી કવિતાઓમાં ગુજરાતના ગામડાં આંખો સામે સ્પષ્ટ તરી આવેછે
અને આંખોના ખૂણાભીના થઈ જાયછે. .
…………………………..
…………………………………..
સુંદર અભિવ્યક્તિ, સરસ વિષય અને કસાયેલ કલમનું કવિકર્મ –બધું જ ગમ્યું. –અભિનંદન.
……………………………………………………………….
“રૂડી ભાષા કાલી, કલરવસમી, સુખ ભરતી” માં સુખને ગુરુ કરવો પડ્યોછે છતાં ઈ અને ઉ બન્નેમાં આ છુટ સાવ સહજ અને માન્ય કહી શકાય તેવી છે…..શિખરિણી શુદ્ધ સ્વરૂપે યોજાયો છે.
તમે છંદને આત્મસાત કરી રહ્યાછો એનો આનંદ મને કેટલો થાય તેતો સમજી જ શકશો. મારા ગુરુજી બુચદાદા એ મને છંદોમાં લખવાના આગ્રહો કરતી વેળા કહેલું કે ભવીષ્યમાં લોલક જ્યારે છંદ તરફ વળશે ત્યારે તમારાં કાવ્યોની કીંમત સમજાશે…
તમનેઅભીનંદન !
Jugalakishor
…………………………………………………………………………………………………………………………..
‘કાવ્યસરવરના ઝીલણે’
ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.
હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી. મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.
ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyricis a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:
‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે
સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’.
મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.
ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.
રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો આપણે અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ” સરવર” માં ઉઠતા સ્પંદન સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ
‘ધરતી મેહુલિયાના સુભગ મિલને,
મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’
થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’ અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.
કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે:
‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું’
આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાં આપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી….
‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’
તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.
કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો:
‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ
આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.
કવિએ ગુજરાત અને ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે. કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.
વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર કેટલાંક રમુજી કાવ્યો પૈકી મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે:
‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર
ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ
હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’.
‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ ભગવાન શંકરના તાંડવ નૃત્યને અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે:
‘તાંડવલીલા
ત્સુનામી ને ભડકા
સ્તબ્ધ દુનિયા’!
હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.
બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.
અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.
‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!
મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.
“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.
“વિરાટ બ્રહ્માંડમાં દીઠી ધરા મારી સલુણી,
રમે નભે દૃષ્ટિ તો હૈયે રમે કોટિ કહાણી,
હશે જ કેવો રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ, આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’)
“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)
મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું. જય હો!
-વલીભાઈ મુસા
Happy to read Rameshbhai’s Poem and THe E Book.
Hope to meet you in Person if free in December this year.
Like Valibhai said…..ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના.”
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
આ સંદર્ભમા લખાયલો સહજ પ્રતિભાવ
pragnaju
November 1, 2012 at 7:16 pm
ખુબ સુંદર
તેમા “બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે ”
મત્લા વગરની જીંદગી
મકતા વગરની જીંદગી
જોને ગઝલ લાચાર છે
છંદો વગરની જીંદગી
ત્યારે બીજી તરફ અમારી દિકરી યામિની કહે છે કે હવે ફ્યુઝન ગઝલસ્વરૂપ સાથે. છંદ ગઝલનો. મત્લા અને શેરના સ્વરૂપમાં કાફિયા અને રદીફની જાળવણી. અષ્ટક પતે પછી ભાવપલટાની સાથો સાથ નવો મત્લા અને નવા કાફિયા-રદીફ સાથેના શેરથી માડી મત્લા વગરની કે બે ત્રણ મત્લાવાળી ગઝલોના પ્રયોગો થયા કરે છે તો કેટલાક
મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તો
ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા
‘સજનવા’ આમ તો એ મત્લા-ગઝલ છે, પણ ‘સજનવા’ રદીફ કોઈ ધ્રુવપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલ જાણે ગીતની જેમ પણ મ્હોરી ઊઠે છે.ત્યારે
લય વગર, શબ્દો વગર, મત્લા વગર
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર
ગઝલનું સ્વરુપ પણ સત્ય છે,છેલ્લે મત્લાના આ પ્રતિભાવ…
સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી
અહીં પણ ‘અવેશ’ જેવો કાફિયાનો આધાર સ્થાપિત કર્યા પછી આદેશ, ઝુંબેશ, હંમેશ જેવા કાફિયા શાસ્ત્રીય રીતે ન વાપરી શકાય. જલ્દી ધ્યાનમાં ન આવતો આ દોષ ઉર્દૂ – ફારસીમાં મહત્વનો દોષ ગણાય છે. આ દોષ નિવારવા માટે મત્લાના શેરમાં અતિચુસ્ત કાફિયા ન રાખવા જોઈએ. પતીલની ગઝલમાં પહેલા શેરમાં ‘થનારા’ની સાથે ‘આપનારા’ ને બદલે ‘સિતારા’; નઝીર ભાતરીની ગઝલમાં ‘રોષિત’ની સાથે ‘સુવાસિત’ અને ભગવતીકુમાર શર્માની ગઝલમાં દરવેશની સાથે આદેશ જેવા કાફિયા વપરાયા હોત, તો પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના સ્થાપિત થાત. અને આ દોષનું નિવારણ થઈ શક્યું હોત. કદીક આવી ચુસ્ત યોજનાવાળા કાફિયા મત્લામાં વપરાઈ જાય અને પછી એને નિભાવી શકાય એમ ન હોય, તો શ્રેષ્ઠ ઉપાય પછી એ છે કે એ મત્લાને બીજા ક્રમે મૂકી, એક નવો મત્લો
રચવો જેમાં પ્રમાણમાં મુક્ત એવી કાફિયાની યોજના હોય.
આ મત્લામાં જ અંટવાયા તો મક્તાની વાત તો દૂર બીજો શેર….?
“કાવ્યસરવરના ઝીલણે”ના નામે પ્રગટ થયેલી રમેશભાઈ પટેલની પ્રથમ ઈ-બુક વાંચવાની તક મળી. સુંદર કવર સાથે પ્રગટ થયેલી આ બુકમાં “પ્રસ્તાવના”વલીભાઈ મુસાની કલમે અદભુત હતી, અને સુરેશભાઈ જાનીના શબ્દોમાં “આવકારો” પણ સુંદર શબ્દોમાં હતો.”લેખકનું નિવેદન”માં રમેશભાઈએ અનેક વ્યક્તિઓનો ઉલ્લેખ કરી, એમની ઉદારતા સાથે સૌનો આભાર દર્શાવ્યો.
અને, બુકના પાનો ફેરવતા, પાન ૪૪થી ૪૧૭ સુધી અનેક કાવ્યોરૂપી પ્રસાદી હતી, જેમાં દેશભક્તિ, ગુજરાત અને ગુજરાતીભાષા પ્રેમ સાથે કુદરતના વખાણો હતા. એમના કાવ્યોમાં એમના હ્રદયની પૂકારના દર્શન થતા હતા.
અનેક વ્યક્તિઓનો ઉલ્લેખ કરતા, “ચંદ્રપૂકાર” સાથે મારા વિષે જે કંઈ લખ્યું તે માટે એમનો આભારીત છું !
ઈબુક માટે રમેશભાઈને મારા અભિનંદન !
…..ચંદ્રવદન
Rameshbhai,
I did have the Glimpse of you E-BOOK.
Very nice !
Congratulations !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
InvALL to my Blog Chandrapukar.
પ્રિય રમેશભાઈ ,
આપની પ્રથમ ઈ- બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ સાહિત્ય જગતમાં ‘સબરસ ‘ બ્લોગના સાહિત્યપ્રેમી પરિવાર દ્વારા કાવ્ય રસિકો માટે ઉપલબ્ધ બન્યું છે એ મારા જેવા અનેક મિત્રો માટે ખુબ આનંદના સમાચાર છે .
આ ઈ-પુસ્તકનું હાર્દિક સ્વાગત છે.
સાહિત્યપ્રેમી માનનીય શ્રી વલીભાઈઆ પુસ્તક માટે પ્રસ્તાવના લખે એથી બીજું રૂડું શું હોઈ શકે .
આપનાં કાવ્યોના આ પ્રથમ ઈ-પુસ્તક માટે આપને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ .
રમેશભાઈની કલમને સાક્ષાત સરસ્વતી વરીછે તેમની કલમ શિસ્તબદ્ધ છંદોમાં આલેખાતી જોઇને ઘણો જ આનંદ થાય છે જોકે મારું તો જ્ઞાન છંદ બાબતે
ગણુંજ ગરીબ છે જ્યાં રમેશભાઈ ની કલમ છંદોથી છલકાતી ધનવાન જોવા મળી છે ,આપણું ગામઠી જીવન હોય કે શુશીલ શહેરી જીવન હોય કે કુદરતી ઋતુઓ પૃથ્વીની પ્રકૃતિનો પરીસવાદ હોય કે બ્રહ્માંડમાં ,અવકાશની સફર હોય ,કે ધરતીનાં માનવજીવનની જહોજલાલી હોય,કે ,ધાર્મિક આપણા ,અન્નદાતા ઈશ્વર વિશેની તુલના, કલ્પના, ને તેના વિશેની ઊંડી સમજ ને માન સાથે તેમણે છંદોમાં આલેખેલી જોવા મળે છે તેઓએ વીજળીના તાર બરાબર સાચી દિશામાં જોડેલા લાગે છે ,વીજ જોડે કામ કરના ને ઘણીજ ચીવટ સાવધાની રાખવી પડે છે તેવીજ સાહિત્યની બાબતે છંદોમાં તેમને રાખી છે
મારા તેમને દિલથી ખુબ ખુબ અભીનાનાદન ,
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રમેશભાઈની મુલાકાત નેટ જગતમાં થઈ અને સહજ જ પ્રેમમાં પડી જવાયું. આ પુસ્તકમાં પણ મારા નામનો ઊલ્લેખ બબ્બેવાર કરવામાં આવ્યો છે એ જ બતાવે છે કે પ્રેમ એકતરફા નથી.સામાજીક દૃષ્ટિએ કુછંદે ચઢેલાં જીવોમાં પ્રેમ થઈ જવો એ સહજ ઘટના છે.
મારી સમજ મુજબ પુસ્તક કે રચના વિષે અભિપ્રાય આપવો એ બહુ ન્યાય સંગત નથી હોતું. મારી દૃષ્ટિએ રચના કરતાં રચનાકાર વધુ મહત્વનો છે. રમેશભાઈ ગુજરાતી કાવ્યાકાશનો એક ઝળહળતો દીપ છે અને આ ઈ-પુસ્તક પ્રકાશન અનેક કાવ્યપ્રેમી/સાહિત્ય પ્રેમી ના હૃદયમાં પ્રેમનો ઓજસ પાથરશે તે નિઃશંક છે.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
આદરણીય શ્રી રમેશભાઈ,
આપની પ્રથમ ઈ- બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ સાહિત્ય જગતમાં ‘સબરસ ‘ બ્લોગના સાહિત્યપ્રેમી પરિવાર દ્વારા કાવ્ય રસિકો માટે ઉપલબ્ધ બન્યું છે એ મારા જેવા અનેક મિત્રો માટે ખુબ આનંદના સમાચાર છે .
આ ઈ-પુસ્તકનું હાર્દિક સ્વાગત છે.આ ઈ-પુસ્તક પ્રકાશન અનેક કાવ્યપ્રેમી/સાહિત્ય પ્રેમી ના હૃદયમાં પ્રેમનો ઓજસ પાથરશે તે નિઃશંક છે.
આપનાં કાવ્યોના આ પ્રથમ ઈ-પુસ્તક માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ .
આપના ઇષ્ટની સદા આપના પર તમેજ આપના પરિવાર પર કૃપા હોજો.
ઇ બુક નાં પ્રકાશનથ તમે એક્વીસમી સદીમાં પગરણ મુક્ય તે બદલ આનંદ અને અભિનંદન
જય શ્રીકૃષ્ણ રમેશભાઈ,
સૌ પ્રથમ તો આ નૂતન વર્ષમાં આપે મેળવેલ આ નવતર સિદ્ધિ માટે ખુબ ખુબ અભિનઁદન.
મને યાદ છે કે મે જ્યારે મનનો વિશ્વાસ બ્લોગ શરૂ કરેલો ત્યારે આપે મને તેમા ઘણી મદદ કરેલી. જ્યારે પણ કોઈ પણ પ્રસઁગોચિત કાવ્યની રચનાની જરૂર હોય તરત આપને યાદ કરતો અને એક યાદગાર રચના મને મળી જતી.
વળી મારા જીવનના આવતા વળાંકોને પણ આપે સુંદર પ્રયોજ્યા તથા મારી મિત્ર અને હવે મારી જીવનસંગીની મન ને પણ ખુબ પ્રોત્સાહન આપ્યું.
આપની ત્રિપથગા બુક્ને વાઁચવાનો લહાવો મળેલો અને હવે આ ઈબુક થકી આપની બીજી રચનાઓ પણ માણવા મળી.
અને આપે તો મને આપની ઈબુકમાં પણ સ્થાન આપી દીધું. તે બદલ અમે કૃતઘ્ન રહેશુ,
કારણકે હું તો બસ એક સાધારણ ગુજરાતી સાહિત્યપ્રેમી અને આ પ્રેમ થકી જ આપ સૌને મળેલો અને મારા બ્લોગની રચના થયેલી અને હું વધારે તો ગુજરાતી ગઝલ કે વ્યાકરણ વિશે નથી જાણતો પણ એટલુ સમજુ કે જે સરળતાથી દરેક્ના દિલ સુધી પહોંચે એ રચના જ ઉત્તમ.
ફરી એકવાર મારા અને મન તરફથી નવા વર્ષની અને આપની આ ઈબુક માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. અને બસ આમ જ પ્રગતિ કરો અને આપણો સાથ બની રહે…
આપનો ડો. હિતેશ ચૌહાણ અને મન.