પિતૃદેવો ભવ..માતૃદેવો ભવ….વિચાર ધારા એટલે
ભારતીય સંસ્કૃતિની પાવન સરવાણી. માનવ માત્રનું કલ્યાણ અને કરુણાની
ભાવના હૃદયસ્થ કરતી આપણી સંસ્કૃતિ આજે આથમતી જાય છે. અસહિસ્ણુતા અને સ્વાર્થની આગળ સંબંધોનું મૂલ્ય ભૂલાતું જાયછે. જીવન દાતા માવતર
પણ ભારરૂપ લાગે એવા બનાવોની વચ્ચે સાચું જીવન જીવતા કુટુમ્બો પણ
મળે છે . આજે આદરના ભાવોનાં પુષ્પો માવતરના ચરણે ધરીએ….
પ્રગટ દેવ
…..રમેશ
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે
આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે
આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે
રમેશ પટેલ(આકાશદીપ)